ભારત-પાકિસ્તાન વચ્ચે 5 કલાકમાં યુદ્ધ અટકાવ્યું: ટ્રમ્પનો મોટો દાવો
વોશિંગ્ટન: ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વિવાદ ચાલી રહ્યો છે તેવા સમયે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો અને વિવાદાસ્પદ દાવો કર્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું કે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી માત્ર પાંચ કલાકમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવી દીધું હતું. જોકે, ભારતે અગાઉ જ સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનના ડીજીએમઓ (ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ)ના આગ્રહ બાદ જ સૈન્ય કાર્યવાહી બંધ કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, ટ્રમ્પે કહ્યું કે, “હું એક ખૂબ જ શાનદાર વ્યક્તિ નરેન્દ્ર મોદી સાથે વાત કરી રહ્યો હતો. મેં તેમને પૂછ્યું કે તમારી અને પાકિસ્તાન વચ્ચે શું ચાલી રહ્યું છે. તે સમયે નફરત ચરમસીમાએ હતી અને આ બધું ઘણા વર્ષોથી ચાલી રહ્યું હતું.”
ટ્રમ્પે આગળ જણાવ્યું કે, “મેં તેમને કહ્યું કે હું તમારી સાથે કોઈ વેપારી ડીલ નથી કરવા માંગતો. તમે લોકો પરમાણુ યુદ્ધમાં ફસાઈ જાઓ તેવા છો. મને ફરી આવતીકાલે ફરી કરજો, પણ હાં, અમે તમારી સાથે કોઈ ડીલ નથી કરવાના પરંતુ મસમોટું ટેરિફ લગાવીશું તો તમારું માથું ચકરાઈ જશે.” ટ્રમ્પના આ દાવા મુજબ, પીએમ મોદી સાથેની આ વાતચીતના પાંચ કલાક બાદ યુદ્ધવિરામ માટેની ડીલ ફાઇનલ થઈ હતી.