‘મંત્રી બનાવી દઈશું’ની ઓફર ફગાવી: પેરોલ પર છૂટેલા આપ ધારાસભ્ય ચૈતર વસાવાનો ચોંકાવનારો ખુલાસો
આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ પેરોલ પર છૂટ્યા બાદ એક મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગરુડેશ્વર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી તેમણે જણાવ્યું કે, વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન ગાંધીનગર ખાતે તેમને ભાજપના મોટા નેતાઓ મળ્યા હતા.
ધારાસભ્ય વસાવાએ કહ્યું કે, ભાજપના નેતાઓએ તેમને મંત્રીપદની ઓફર કરી હતી.
- ભાજપની ઓફર: “મને ઓફર કરી કે, ભાજપમાં જોડાઈ જાઓ, મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે એટલે મંત્રી બનાવી દઈશું.“
- વસાવાનો જવાબ: આ ઓફરને ઠુકરાવતા ચૈતર વસાવાએ કહ્યું કે, તેમને જનતાનો જે પ્રેમ અને સહકાર મળ્યો છે, તે કરોડો રૂપિયાની મિલકતો કે મંત્રીપદ કરતાં પણ વધુ મૂલ્યવાન છે અને તે જ તેમની ખરી ‘પુંજી’ (મૂડી) છે.
જનતાનો પ્રેમ પોતાનો સાચો સહકાર હોવાનું જણાવીને ચૈતર વસાવાએ મતદારોમાં પોતાની આગવી છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. સભામાં તેમણે ફિલ્મી ડાયલોગની શૈલીમાં કહ્યું:
“ચૈતર વસાવા કભી ઝુકેગા નહીં. તુમકો ક્યા લગતા થા નહીં લૌટેંગે, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં!”
આ સાંભળીને ઉપસ્થિત કાર્યકરો અને લોકોએ જોરદાર તાળીઓ પાડીને વાતાવરણને ગુંજવી દીધું હતું. ગરીબ જનતાના આશીર્વાદ અને સહકાર મંત્રીપદ કરતાં પણ વધુ મૂલ્યવાન હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.