ગાંધીનગર જિલ્લામાં SVAP અંતર્ગત ૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ચિત્રકલા અને પોસ્ટર મેકિંગ દ્વારા જગાવી મતદાન જાગૃતિ
આગામી તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહત્તમ, નીડર અને નૈતિક મતદાન થાય તેવા ઉમદા ઉદ્દેશ્યથી રાજ્ય ચૂંટણી આયોગના SVAP (State Voters Awareness Programme) અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં સઘન જાગૃતિ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ શ્રેણીમાં આજે જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ‘ચિત્રકલા અને પોસ્ટર મેકિંગ સ્પર્ધા’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કલા એ માનવીય અભિવ્યક્તિનું અત્યંત સશક્ત માધ્યમ છે. આ વાતને સાર્થક કરતા, જિલ્લાની પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના હજારો વિદ્યાર્થીઓએ લોકશાહીના મૂલ્યોને પોતાના કલ્પનાના રંગો દ્વારા કાગળ પર ઉતાર્યા હતા. આ સ્પર્ધા માટે વિદ્યાર્થીઓને “લોકશાહીનું મહાપર્વ”, “ચૂંટણી પર્વ – દેશનો ગર્વ”, “મારો મત, મારો અધિકાર” અને “જાગૃત મતદાર” જેવી વિવિધ થીમ આપવામાં આવી હતી. સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓનું સર્જન કૌશલ્ય અને ચૂંટણી પ્રક્રિયા પ્રત્યેની તેમની સમજણ ઉડીને આંખે વળગે તેવી હતી. નાના ભૂલકાઓથી લઈને મોટા વિદ્યાર્થીઓએ EVM મશીન, મતદાન મથકની પ્રક્રિયા, મતદાન કર્યાની નિશાની રૂપે શાહી વાળી આંગળી અને જાગૃત નાગરિકની ફરજો દર્શાવતા અત્યંત આકર્ષક અને અર્થસભર પોસ્ટર્સ તૈયાર કર્યા હતા. કેટલાક ચિત્રોમાં દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોને અપાતી સુવિધાઓનું પણ સુંદર આલેખન કરવામાં આવ્યું હતું. વળી, ઘણા પોસ્ટર્સમાં “વોટ આપવા જરૂર જજો”, “લાલચમાં ન આવતા” જેવા પ્રેરણાદાયી સ્લોગન પણ લખવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓની આ મહેનત અને સર્જનાત્મકતા માત્ર શાળાના ચાર ઓરડાઓ પૂરતી સીમિત નહીં રહે. શાળાઓ દ્વારા તૈયાર કરાયેલા આ શ્રેષ્ઠ પોસ્ટર્સ અને ચિત્રોને શાળાના નોટિસ બોર્ડ, ગામની પંચાયત કચેરી, બસ સ્ટેન્ડ અને જાહેર ચોકમાં પ્રદર્શિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી વાલીઓ અને આમ નાગરિકો રસ્તે પસાર થતા આ ચિત્રો જોઈને આગામી ચૂંટણીમાં અચૂક મતદાન કરવા માટે પ્રેરિત થાય.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સીધા મોનિટરિંગ અને SVAP ના મદદનીશ નોડલ અધિકારીશ્રી પી.ડી. દવે તથા શ્રી એમ.એસ. પઠાણના સંકલન હેઠળ આ કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો હતો. પ્રાપ્ત આંકડાઓ મુજબ, આજે જિલ્લાના અંદાજિત ૫૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ આ કલાત્મક મહાકુંભમાં જોડાઈને લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આગામી દિવસોમાં આ અભિયાન અંતર્ગત રંગોળી અને મહેંદી સ્પર્ધા, શેરી નાટક તેમજ ભવ્ય જનજાગૃતિ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ૨૬મી એપ્રિલના રોજ મતદાનના દિવસે ગાંધીનગર જિલ્લો એક નવો કીર્તિમાન સ્થાપિત કરી શકે.

