ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતગણતરી કેન્દ્રો અને ટેબલોની સંખ્યા જાહેર
ગાંધીનગર જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા તેજ કરવામાં આવી છે. આ ચૂંટણી અંતર્ગત ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની મતગણતરી પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે હેતુથી ગાંધીનગર કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતગણતરીના સ્થળો અને ટેબલોની સંખ્યા જાહેર કરવામાં આવી છે.
જિલ્લા અને તાલુકા પંચાયતની મતગણતરી
જિલ્લાની ચાર મુખ્ય તાલુકા પંચાયતો માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે મતગણતરી કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકા માટે સેક્ટર-૧૫ સ્થિત સરકારી આર્ટસ કોલેજના વિવેકાનંદ હોલ ખાતે ૧૨ ટેબલો પર મતગણતરી થશે. માણસા તાલુકા માટે એસ.ડી. આર્ટસ એન્ડ બી.આર. કોમર્સ કોલેજના રૂમ નં. ૧૧ અને ૨૨માં અનુક્રમે ૯ અને ૭ ટેબલોની વ્યવસ્થા કરવામાં આવી છે.
દહેગામ તાલુકા માટે એમ.બી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ત્રણ અલગ-અલગ રૂમોમાં કુલ ૩૨ ટેબલો પર મતગણતરી હાથ ધરાશે. કલોલ તાલુકા માટે સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે કુલ ૨૨ ટેબલો કાર્યરત રહેશે.
નગરપાલિકા વિસ્તારની મતગણતરી
નગરપાલિકાની ચૂંટણીઓ માટે પણ અલાયદા કેન્દ્રો જાહેર કરાયા છે. કલોલ નગરપાલિકા માટે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે બે કાઉન્ટિંગ હોલમાં ૧૨ ટેબલો અને દહેગામ નગરપાલિકા માટે મ્યુનિસિપલ બોયઝ સ્કૂલ ખાતે ૫ ટેબલો પર મતોની ગણતરી કરવામાં આવશે. આમ દરેક કેન્દ્ર પર ચૂંટણી પંચના ધારાધોરણો મુજબ જરૂરી તમામ સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની સૂચના સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓને આપી દેવામાં આવી છે. મતગણતરી દરમિયાન પારદર્શિતા જળવાય અને પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે રીતે ટેબલોની ગોઠવણી કરવામાં આવી છે,તેમ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેકટર શ્રી ગાંધીનગર રવિન્દ્ર કરતાલે દ્વારા જણાવવામાં આવ્યું છે.

