આહીર વિદ્યાર્થી ભવન ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૩ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું
ગાંધીનગર તા.ર૪
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગાંધીનગર તથા ડો. સુભાષ ચાવડા આહીર વિદ્યાર્થી ભવનના સંયુક્ત ઉપક્રમે તા. ૨૪/૦૫/૨૦૨૬, રવિવારના રોજ આહીર વિદ્યાર્થી ભવન, સેક્ટર 15, ગાંધીનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાય અને થેલેસેમિયાના દર્દીઓને સમયસર લોહી મળી રહે તે હેતુસર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં આહીર વિદ્યાર્થી ભવનના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. કેમ્પ દરમિયાન કુલ ૨૩ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. કેમ્પમાં રક્તદાન કરનાર દરેક ડોનરને આયોજકો તરફથી ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું કે, “રક્તદાન એ મહાદાન છે અને એક વ્યક્તિનું રક્તદાન અનેક જીવનો બચાવી શકે છે.” આ સાથે જ વધુમાં વધુ લોકો નિયમિત રક્તદાન માટે આગળ આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.
આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા આહીર વિદ્યાર્થી ભવનના આગેવાનો, રેડક્રોસ સોસાયટી, ગાંધીનગરના હોદેદારોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના શ્રી જીલુભા ધાંધલએ રક્તદાતાઓ એવા વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ હોવા છતાં સમાજ સેવાના આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેવા બદલ તમામનો આભાર વ્યક્ત કરી, આવા આયોજનમાં સતત સહકાર મળતો રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

