ગાંધીનગર

હવામાન વિભાગની આગાહીના પગલે ગાંધીનગર જિલ્લાના નાગરિકોને હીટ વેવ સામે સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ

ભારતીય હવામાન વિભાગ- IMD, અમદાવાદ કેન્દ્ર દ્વારા જારી કરાયેલા સાત દિવસના સ્થાનિક હવામાન પૂર્વાનુમાન અન્વયે આગામી દિવસોમાં ગરમીનો પારો ૪૧ થી ૪૨ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લો અમદાવાદની ભૌગોલિક રીતે અત્યંત નજીક હોવાના કારણે અહીં પણ સમાન પ્રકારે કાળઝાળ ગરમી અને હીટ વેવની તીવ્ર અસર જોવા મળી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ તારીખ ૨૫ મે થી તારીખ ૨૯ મે સુધી ‘યલો એલર્ટ’ -High Temperature Warning જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાને રાખીને ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મુખ્યત્વે આગામી સમયમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતા હોઈ, ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તમામ નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ ગરમીથી બચવા માટેના તમામ જરૂરી પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.

હવામાન વિભાગના સત્તાવાર બુલેટીન મુજબ આગાહીની વિગતો જોઈએ તો,
દિવસ-૧ (૨૫/૦૫/૨૦૨૬): મહત્તમ તાપમાન ૪૨°C, ન્યૂનતમ તાપમાન ૨૯°C — યલો એલર્ટ (પૂરેપૂરી શક્યતા),
દિવસ-૨ (૨૬/૦૫/૨૦૨૬): મહત્તમ તાપમાન ૪૧°C, ન્યૂનતમ તાપમાન ૨૯°C — યલો એલર્ટ (પૂરેપૂરી શક્યતા), Ec
દિવસ-૩ (૨૭/૦૫/૨૦૨૬): મહત્તમ તાપમાન ૪૧°C, ન્યૂનતમ તાપમાન ૨૯°C — યલો એલર્ટ (વધુ શક્યતા),
દિવસ-૪ (૨૮/૦૫/૨૦૨૬): મહત્તમ તાપમાન ૪૨°C, ન્યૂનતમ તાપમાન ૨૯°C — યલો એલર્ટ (વધુ શક્યતા), Ec
દિવસ-૫ (૨૯/૦૫/૨૦૨૬): મહત્તમ તાપમાન ૪૧°C, ન્યૂનતમ તાપમાન ૨૯°C — યલો એલર્ટ (શક્યતા) રહેશે.
જ્યારે દિવસ-૬ અને ૭ (૩૦ મે થી ૧ જૂન) દરમિયાન તાપમાન ૪૦ થી ૪૧°C વચ્ચે રહેશે જેમાં કોઈ સત્તાવાર એલર્ટ નથી પરંતુ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.

હીટ વેવથી બચવા માટે નાગરિકો માટે રાખવાની થતી સાવચેતી અને માર્ગદર્શિકા, તરસ ન લાગી હોય તો પણ સમયાંતરે પર્યાપ્ત પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, ઓ.આર.એસ. , ઘરે બનાવેલી છાશ અથવા નાળિયેર પાણીનું સેવન કરવું જેથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે. ખાસ કરીને બપોરે ૧૨:૦૦ થી ૪:૦૦ વાગ્યા દરમિયાન સૂર્યપ્રકાશ સીધો પડતો હોવાથી બિનજરૂરી રીતે ઘર કે ઓફિસની બહાર તડકામાં નીકળવાનું ટાળવું. બહાર નીકળતી વખતે હળવા રંગના, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ સૂર્યના સીધા તડકાથી માથું બચાવવા માટે ટોપી, રૂમાલ, છત્રી અને આંખો માટે ચશ્માનો ઉપયોગ કરવો. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તેમજ પહેલાંથી બીમાર વ્યક્તિઓને ગરમીની અસર તુરંત થતી હોવાથી તેમને બપોરે ઘરમાં જ રાખવા અને તેમની વિશેષ કાળજી લેવી. ગ્રામ્ય સ્તરે અબોલ પશુઓ અને પક્ષીઓ માટે છાંયડાની તેમજ પીવાના પાણીના અવેડા અને કૂંડાની પૂરતી વ્યવસ્થા કરવા ગ્રામ પંચાયતો અને સ્વૈચ્છિક સંસ્થાઓને અપીલ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને ચક્કર આવે, ઉલટી થાય, માથું દુખે કે અતિશય અશક્તિ જણાય, તો તેને તુરંત છાંયડાવાળી ઠંડી જગ્યાએ બેસાડી પ્રાથમિક સારવાર આપવી અને જરૂર જણાયે ૧૦૮ એમ્બ્યુલન્સ અથવા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સંપર્ક કરવો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *