સ્વર્ણિમ સાયન્સ કોલેજ, અડાલજ ખાતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નાણાંકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
અડાલજ સ્થિત સ્વર્ણિમ સાયન્સ કોલેજ ખાતે ભારતીય રિઝર્વ બેંક, અમદાવાદના ઓમ્બુડ્સમેન કાર્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે નાણાંકીય સાક્ષરતા જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોમાં નાણાંકીય સાક્ષરતા કેળવાય, સુરક્ષિત ડિજિટલ બેંકિંગ અંગે જાગૃતિ ફેલાય તેમજ ગ્રાહકો માટે ઉપલબ્ધ ફરિયાદ નિવારણ વ્યવસ્થાથી તેઓ માહિતગાર થાય તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રોફ. ડૉ. શેફલ વાઘેલાએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. આ પ્રસંગે માર્ગદર્શન આપતા RBIના આસિસ્ટન્ટ મેનેજર શ્રી નિનાદ કસાલે, સહાયક શ્રી કરણ ગોસ્વામી અને શ્રી હર્ષદકુમાર પટેલે રિઝર્વ બેંક દ્વારા નિયંત્રિત નાણાંકીય સંસ્થાઓમાં ઉપલબ્ધ ‘Internal Grievance Redressal’ વ્યવસ્થા તેમજ ‘Reserve Bank Integrated Ombudsman Scheme’ હેઠળ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા, ગ્રાહકના અધિકારો અને ડિજિટલ બેંકિંગના સુરક્ષા માપદંડો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને ડિજિટલ વ્યવહારો દરમિયાન OTP, PIN, CVV કે Password જેવી ગોપનીય વિગતો કોઈ સાથે શેર ન કરવા, શંકાસ્પદ લિંક્સથી સાવચેત રહેવા અને સાયબર છેતરપિંડીના કિસ્સામાં તાત્કાલિક ‘૧૯૩૦’ સાયબર હેલ્પલાઈન કે બેંકનો સંપર્ક કરવા વિશેષ આગ્રહ કર્યો હતો.
આ ઉપરાંત લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી વિક્રમ શાહે બેંકોની વિદ્યાર્થીલક્ષી ધિરાણ યોજનાઓ વિશે માહિતી પૂરી પાડી હતી, જ્યારે નાણાકીય સાક્ષરતા સલાહકાર શ્રી અનિલ પુરોહિતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાઓ અને સાયબર ક્રાઈમ અંગે ટૂંકમાં માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન યોજાયેલી પ્રશ્નોત્તરી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં સાચા ઉત્તર આપનાર અને સહભાગી વિદ્યાર્થીઓને RBI તરફથી પ્રોત્સાહક ઈનામો આપી સન્માનિત કરાયા હતા. યુવાનોને જાગૃત અને સુરક્ષિત ડિજિટલ નાગરિક બનાવવામાં આ કાર્યક્રમ અત્યંત ઉપયોગી સાબિત થયો હતો. કાર્યક્રમના અંતે કોલેજના પ્રિન્સિપાલ શ્રી પ્રેમ પ્રજાપતિએ ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓના સંયુક્ત સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

