અપક્ષના ૩ ધારાસભ્યો ધવલસિંહ ઝાલા, માવજી દેસાઈ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામા આપશે
લોકસભાની ચૂંટણીને લઇ ભાજપે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે તો બીજી તરફ ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતવા માટે ભાજપે ઓપરેશન લોટ્સ શરૂ કર્યું હતું. જેમાં બે ધારાસભ્યોની વિકેટ પાડી દેવામાં આવી હતી અને હવે વધુ એક અપક્ષ ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. અગાઉ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે અને વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી એ રાજીનામું આપી દીધું હતું
અને હવે અપક્ષના ત્રણ ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે અને તેનો ભાજપ દ્વારા તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ સોગઠા ગોઠવી રહ્યો છે અને ગુજરાતમાં તમામે તમામ ૨૬ બેઠકો જીતવા માટે કોંગ્રેસ અને આપ પાર્ટીના મજબૂત ધારાસભ્યો અને નેતાઓને નિશાન બનાવી રહ્યો છે. અગાઉ ખંભાત અને વિસાવદરના ધારાસભ્યની વિકેટ પાડવામાં આવી હતી અને હવે આ લાઈનમાં વડોદરાની વાઘોડીયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ રાજીનામું આપી શકે છે અને હવે ગમે ત્યારે કેસરિયા કરી શકે છે.
અગાઉ ધાનેરા અને બાયડના અપક્ષ ધારાસભ્ય ભાજપને સમર્થન આપી ચૂક્યા છે ત્યારે હવે અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે છે અને બાદમાં કેસરિયા કરી શકે છે. ધર્મેન્દ્રસિંહ અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ શકે છે અને બાદમાં પેટા ચૂંટણીમાં ભાજપ તેમણે ટિકીટ આપી શકે છે. ઉત્તરાયણ બાદ ભાજપ ફરીથી ઓપરેશન લોટ્સ- પાર્ટ ટુ શરૂ કરી શકે છે અને તેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મજબૂત ધારાસભ્યો અને નેતાઓ નિશાના ઉપર જોવા મળી શકે છે. આ સિવાય ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ અને બાયડ-માલપુરના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ રાજીનામું આપી શકે છે અને આ ત્રણેય ધારાસભ્યો હવે ગમે ત્યારે કેસરિયા કરી શકે છે.