PM મોદીએ કાનપુરમાં ₹47,600 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, શુક્રવારે, ઉત્તર પ્રદેશના કાનપુરમાં ₹૪૭,૬૦૦ કરોડના ૧૭ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રોજેક્ટ્સમાં રેલવે બ્રિજ, ફાયર સ્ટેશન અને ટ્રીટમેન્ટ પ્લાન્ટનો સમાવેશ થાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં આધુનિક કનેક્ટિવિટી અને વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનો છે.
કાનપુરમાં એક જાહેર સભાને સંબોધતા, વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ વિકાસ કાર્યક્રમ અગાઉ ૨૪ એપ્રિલે યોજાવાનો હતો, પરંતુ પહલગામ હુમલાને કારણે તેને રદ કરવો પડ્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આખી દુનિયાએ તે હુમલાના બદલાને ‘ઓપરેશન સિંદૂર’ના રૂપમાં જોયો છે, જેમાં ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા નષ્ટ કર્યા. તેમણે ઉમેર્યું કે ભારતીય સેનાએ એવી બહાદુરી બતાવી કે પાકિસ્તાની સેના યુદ્ધ બંધ કરવા આજીજી કરવા લાગી.
વડાપ્રધાન મોદીએ કડક શબ્દોમાં પાકિસ્તાનને ચેતવણી આપી કે ‘ઓપરેશન સિંદૂર’ હજુ પૂરું થયું નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતે આતંકવાદ સામેની લડાઈ માટે ત્રણ સિદ્ધાંતો નક્કી કર્યા છે: દરેક આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપશે, પ્રતિક્રિયા આપવાનો સમય, રીત અને પરિસ્થિતિઓ ભારતીય સૈન્ય દળો દ્વારા નક્કી કરવામાં આવશે, અને ભારત કોઈ પણ ‘એટમ બોમ્બ’ના ભયથી ડરશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે ભારત આતંકના માસ્ટર અને આતંકને સમર્થન આપતી સરકારને એક જ નજરે જોશે, જે આતંકવાદ સામે ભારતની શૂન્ય સહિષ્ણુતા દર્શાવે છે.