ધર્મ દર્શનરાષ્ટ્રીય

સિંહસ્થ કુંભમેળાની તારીખો કરાઇ જાહેર

દર બાર વર્ષે યોજાતો સિંહસ્થ કુંભમેળો મહારાષ્ટ્રની કાશી ગણાતી પૂણ્યનગરી નાસિકમાં યોજાવા જઈ રહ્યો છે, અને તેની સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી છે. નાસિક અને ત્ર્યંબકેશ્વરના તમામ અખાડાના સાધુ-મહંતોની હાજરીમાં આ જાહેરાત થઈ હતી.

નાસિક જિલ્લા કલેક્ટર કાર્યાલયમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં સિંહસ્થ કુંભમેળાના અંતિમ સમયપત્રકની ઘોષણા કરવામાં આવી. આ બેઠકમાં 13 અખાડાના સાધુ-મહંતોએ ભાગ લીધો હતો.

મહત્વપૂર્ણ તારીખો:

  • ધ્વજારોહણ અને કુંભમેળાનો પ્રારંભ: 31મી ઓક્ટોબર 2026ના રોજ ત્ર્યંબકેશ્વર અને નાસિક બંને સ્થળોએ ધ્વજારોહણ સાથે સિંહસ્થ કુંભમેળાનો પ્રારંભ થશે.
  • પ્રથમ અમૃત સ્નાન: 2જી ઓગસ્ટ 2027
  • બીજું અમૃત સ્નાન: 31મી ઓગસ્ટ 2027
  • ત્રીજું અમૃત સ્નાન: 12મી સપ્ટેમ્બર 2027
  • કુંભમેળાનું સમાપન: 24મી જુલાઈ 2028ના રોજ ધ્વજ ઉતારવાની વિધિ સાથે કુંભમેળાનું સમાપન થશે.

સિંહસ્થ કુંભમેળાની તૈયારીઓ ત્ર્યંબકેશ્વર અને નાસિકમાં જોરશોરથી ચાલી રહી છે. અત્યાર સુધીમાં ચાર હજાર કરોડના ટેન્ડરો ફાળવવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં વધુ બે હજાર કરોડના ટેન્ડરો બહાર પાડવામાં આવશે. આ પહેલા 2015-16માં નાસિક-ત્ર્યંબકેશ્વર ખાતે સિંહસ્થ કુંભમેળો યોજાયો હતો.

ભારતમાં નાસિક-ત્ર્યંબકેશ્વર ઉપરાંત પ્રયાગરાજ, ઉજ્જૈન અને હરિદ્વાર ખાતે પણ કુંભમેળાનું આયોજન થાય છે, જ્યારે પ્રયાગ અને હરિદ્વારમાં દર છ વર્ષે અર્ધકુંભ પણ યોજાય છે. નાસિક અને ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભની વિશેષતા એ છે કે અહીં વૈષ્ણવ અને શૈવ બંને અખાડા દ્વારા અલગ અલગ સ્નાન કરવામાં આવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *