ગાંધીનગર

ઉનાવા ગામમાં રહસ્યમય ચોરી: તાળું અકબંધ છતાં નવવધૂના લાખોના દાગીના ગાયબ

ગાંધીનગર: ગાંધીનગર તાલુકાના ઉનાવા ગામમાં એક વિચિત્ર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક નવવધૂના ₹૪.૭૪ લાખની કિંમતના સોનાના દાગીના તેના જ ઘરમાંથી ગાયબ થઈ ગયા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, દાગીના જે તિજોરીમાં રાખવામાં આવ્યા હતા તેનું તાળું બિલકુલ અકબંધ છે અને તેના પર નુકસાનના કોઈ નિશાન નથી.

ગ્રામજનો જયબા નરેન્દ્રસિંહ ડાભીના લગ્ન ગત ફેબ્રુઆરીમાં થયા હતા. લગ્ન પછી તેઓ સાસરીમાં આવ્યા ત્યારે તેમણે પોતાના દાગીના ઘરના એક રૂમમાં તિજોરીમાં મૂક્યા હતા. ૧૭ માર્ચના રોજ તેઓ પિયર ગયા ત્યારે સોનાની બુટ્ટી સિવાયના તમામ દાગીના તિજોરીમાં રાખીને તાળું માર્યું હતું. લગભગ ૧૮ દિવસ બાદ, ૩ એપ્રિલે જયબા પાછા ફર્યા અને બે દિવસ પછી તિજોરી ખોલતા તેમના દાગીના ગાયબ જણાયા.

તિજોરીમાં તેમના સાસુ અને પતિની રોકડ રકમ સહીસલામત હતી, જ્યારે સોનાનો સેટ, દોરો, વીંટી અને ટીકો સહિત કુલ ₹૪.૭૪ લાખની કિંમતનો મુદ્દામાલ ગાયબ હતો. આ ઘટનાથી પરિવારને આઘાત લાગ્યો છે, કારણ કે તિજોરીનું તાળું તોડાયું ન હોવાથી ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શંકા સેવાઈ રહી છે. જયબાએ આ અંગે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ રહસ્યમય કેસની તપાસ હાથ ધરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *