Amadavad: ધરોઈ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે, રિવરફ્રન્ટનો વોક-વે બંધ
ગાંધીનગર: ગુજરાતમાં ઉપરવાસ અને રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે રાજ્યની મુખ્ય નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે મહેસાણાથી અમદાવાદ સુધી નદી બે કાંઠે વહેતી થઈ છે. આ સ્થિતિને જોતા નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
ધરોઈ ડેમના ચાર દરવાજા ખોલીને પાણી છોડાયા બાદ, ગાંધીનગરના સંત સરોવરમાંથી પણ ૬૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ, અમદાવાદમાં આવેલા વાસણા બેરેજના ૨૪ દરવાજા ૬ ફૂટ સુધી ખોલીને ૩૧,૦૦૦ ક્યુસેક પાણી આગળ છોડવામાં આવ્યું છે.
પાણીના પ્રવાહમાં વધારો થતાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટનો વોક-વે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સુરક્ષાના કારણોસર, રિવરફ્રન્ટ વોક-વે હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકોને નદી કિનારે જવાથી દૂર રહેવા જણાવાયું છે. તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.