ગાંધીનગર: જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૨૮ અને ૨૯ ઓક્ટોબરે રોજગાર ભરતીમેળાનું આયોજન
ગાંધીનગર તા.૨૭ ઓક્ટોબર – જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૮ તથા ૨૯ ઓક્ટોબરના રોજ રોજગાર ભરતીમેળા યોજવામાં આવશે. જેમાં તા.૨૮/૧૦/૨૦૨૫નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી,“સી”વીંગ, પહેલો માળ, સહયોગ સંકુલ, પથિકાશ્રમ પાસે, સિવિલ હોસ્પિટલ સામે, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રોજગાર ભરતીમેળામાં ગાંધીનગર જિલ્લાના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ. તમામ ટ્રેડ, કોઈ પણ સ્નાતક કક્ષાનાં ઉત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. જે માટે અનુબંધમ જોબફેર આઇ.ડી માટે JF697478787 છે.
દ્વિતીય દિવસે તા.૨૯/૧૦/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ટેક મહિન્દ્રા,૧૯ મો માળ, QC બિલ્ડીંગ, ગીફ્ટ સીટી, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતીમેળામાં ટેક મહિન્દ્રા, ગાંધીનગર દ્વારા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધો.૧૨ પાસ તથા કોઈ પણ સ્નાતક કક્ષાનાં ઉત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકશે. આ રોજગાર ભરતી મેળા અનુબંધમ આઇ.ડી JF170920904 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે,તેમ જિલ્લા રોજગાર અધિકારી,સા.ની યાદી દ્વારા જણાવાયું છે.

