ગાંધીનગરમાં શ્રીપદ અયાન્સ હાઈરાઈઝ બિલ્ડિંગમાં 13મા માળે લાગી આગ, ફાયર વિભાગે આગ ઠારતા જાનહાની ટળી
ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલી શ્રીપદ અયાન્સ રેસિડેન્સીમાં આજે સાંજના સમયે આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આ હાઈરાઈઝ બિલ્ડિંગના 13મા માળે લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગને જોઈને આસપાસના રહેવાસીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. જોત જોતામાં દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટેગોટા ફરી વળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
મળેલી માહિતી મુજબ આજે સાંજે ઇન્દ્રજીતસિંહ જાડેજા દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી કે સરગાસણની શ્રીપદ અયાન્સ રેસિડેન્સીમાં આગ લાગી છે. આ કોલ મળતાની સાથે જ માત્ર બે મિનિટના ટનઆઉટ સમયમાં સેક્ટર -૧૭ ફાયર સ્ટેશન અને સરગાસણ ફાયર સ્ટેશનની ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, રસોડામાં કોઈ ખાદ્ય સામગ્રી તળવા મૂકી હતી. જેનું ધ્યાન રાખવાનું મહિલા સહિતના પરિવારજનો ચૂકી ગયા હતા. અને બંધ બારી દરવાજાને કારણે ગરમી અને ધુમાડો અંદર જ કેદ થઈ ગયો હતો. જેની વચ્ચે થયેલા શોર્ટ સર્કિટને કારણે રસોડામાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આજુબાજુના રૂમમાં પણ પ્રસરી ગઈ હતી.
ગાંધીનગર ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની પાંચથી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે હાઈરાઈઝ બિલ્ડિંગ હોવાથી અને વધુ પડતા ધુમાડાને કારણે ફાયરના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. એક તબક્કે આગ પર કાબુ મેળવી લેવાયો હોવાનું જણાતું હતું, પરંતુ થોડી જ વારમાં આગ ફરી ભભૂકી ઉઠી હતી અને નજીકના ફ્લેટ સુધી પ્રસરી ગઈ હતી. જેને પગલે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલ તો બિલ્ડિંગમાં રહેતા અન્ય ફ્લેટધારકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. તેમજ તંત્ર દ્વારા આ સ્કીમમાં ફાયર એનઓસી બાબતેની તપાસ કરવી જોઈએ તેવું સ્થાનિકોમાં ચર્ચાઓ થઈ રહી હતી. તંત્ર દ્વારા આ આગને ધ્યાને લઈને અને શહેરમાં અન્ય જગ્યાઓ એ પણ આવી ઘટનાઓ ન બને તે માટે તંત્ર દ્વારા આ બાબતે શું શું તપાસો કરશે તે જોવાનું રહ્યું.
અગમચેતીના ભાગરૂપે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી તમામ રહીશોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. હાલ ફાયરની ટીમો દ્વારા સતત કામગીરી ચાલુ રાખી આગને સંપૂર્ણપણે ઓલવવા અને ઠારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ આગના પગલે ઘટનાસ્થળે ટોળાં એકત્ર થઈ ગયા હતા અને રહીશોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

