ગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં જાહેર સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા ફરજિયાત: જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ

ગાંધીનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ રાખવાના હેતુસર જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર ગાંધીનગર જિલ્લાના સમગ્ર મહેસૂલી વિસ્તાર, શહેરી વિસ્તાર તથા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા હાઈવે પરની તમામ હોટલો, તમામ પેટ્રોલપંપ, તમામ ટોલપ્લાઝા, બેંક વિસ્તાર, એ.ટી.એમ. સેન્ટરો, શોપિંગ મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળો, મલ્ટીપ્લેક્સ થિયેટરો, કોમર્શિયલ સેન્ટરો, થ્રી-સ્ટારથી ઉપરની હોટલો, રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસ, જવેલરી શોપ, લોજિંગ-બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી ઇમારતો, પાવરહાઉસ સહિતના જાહેર સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે.

જાહેરનામા મુજબ કેમેરા એવા સ્થળોએ લગાવવાના રહેશે જ્યાં પ્રવેશતી વ્યક્તિઓના ચહેરા તથા વાહનોના નંબર સ્પષ્ટ રીતે જોઈ શકાય. કેમેરા નાઈટ વિઝન અને હાઈ ડેફિનેશન સુવિધા સાથેના હોવા જરૂરી છે તેમજ તેનું રેકોર્ડિંગ ઓછામાં ઓછા ૧૫ દિવસ સુધી જાળવી રાખવાનું રહેશે. થ્રી-સ્ટારથી ઉપરની હોટલોમાં પ્રવેશદ્વાર પર સુરક્ષા ગાર્ડ અથવા મેટલ ડિટેક્ટરની વ્યવસ્થા પણ કરવી પડશે.

જાહેરનામામાં જણાવાયું છે કે ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાને કારણે અહીં માનનીય રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓના નિવાસસ્થાનો, સચિવાલય, વિધાનસભા સંકુલ તેમજ મહાત્મા મંદિર જેવા મહત્વના સ્થળો આવેલા છે. મહાત્મા મંદિરમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજાતા હોવાથી તેમજ તહેવારો, જાહેર કાર્યક્રમો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સીસીટીવી સર્વેલન્સ અત્યંત જરૂરી છે.

આ ઉપરાંત હત્યા, ઘરફોડ ચોરી, બેંક લૂંટ, વાહન ચોરી, ચેઇન સ્નેચિંગ, બેગ લિફ્ટિંગ જેવા ગુનાઓને અટકાવવા અને ગુનાખોરોની ઓળખ કરવામાં સીસીટીવી ફૂટેજ અસરકારક સાબિત થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ હુકમ તા. ૨૭/૦૭/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જિલ્લાના તમામ નાગરિકો, મિલકતના માલિકો, કબજેદારો, ભાડૂતો તથા સંબંધિત સંસ્થાઓને જાહેરનામાનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *