કોરોના મુક્ત ગાંધીનગરમાં ફરી કોરોનાની એન્ટ્રી, આરોગ્ય વિભાગ દોડતું થયું
ગાંધીનગર : લાંબા સમયથી કોરોના મહામારી ભૂતકાળ બની ચૂકી હતી અને લોકો સામાન્ય જીવન જીવી રહ્યા હતા, ત્યારે ગાંધીનગરમાં કોરોનાનો એક શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર સક્રિય બની ગયું છે. સરગાસણ વિસ્તારમાં રહેતી 51 વર્ષીય મહિલાનો ખાનગી હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આ મહિલા તાજેતરમાં ઉત્તરાખંડની ચારધામ યાત્રા પૂર્ણ કરીને ગાંધીનગર પરત ફર્યા હતા. યાત્રા બાદ તેમને શરદી, ઊધરસ અને સતત તાવ જેવા લક્ષણો જણાતા પરિવારજનોએ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં કરાયેલા કોરોના ટેસ્ટમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
ખાનગી હોસ્પિટલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સરકારી પ્રોટોકોલ મુજબ મહિલાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મહિલાના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યોના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. સદનસીબે પરિવારના અન્ય કોઈ સભ્યમાં ચેપના લક્ષણો કે પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યા નથી, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં એપ્રિલ-2025 બાદ કોરોનાનો કોઈ સત્તાવાર કેસ નોંધાયો ન હતો. અંદાજે 14 મહિનાના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર કોરોના સંક્રમણનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે અને બહારગામ કે અન્ય રાજ્યોમાંથી પરત ફરતા નાગરિકોને સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આ અંગે મનપાના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, “દર્દી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ખાનગી હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સરકારી સ્તરે અંતિમ રિપોર્ટની પ્રક્રિયા ચાલુ છે. હાલના તબક્કે દર્દીને શંકાસ્પદ દર્દી તરીકે સારવાર આપવામાં આવી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર છે.”

