ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

નવલખી બંદર ઉપર ૧૯ર કરોડના ખર્ચે બનસે નવી અદ્યતન જેટી, મુખ્યમંત્રીએ આપી મંજુરી

અમદાવાદ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નવલખી બંદર ખાતે નવી જેટી બનાવવા માટેની દરખાસ્તને સૌદ્ધાંતિક મંજૂરી આપી છે. આ જેટીનું નિર્માણ ગુજરાત મેરીટાઇમ બોર્ડ રૂ. ૧૯ર.૩૩ કરોડના અંદાજિત ખર્ચે હાથ ધરશે. નવલખી બંદર ખાતે આ અંતર્ગત ૪૮૫ મીટરની નવી અદ્યતન જેટીનું બાંધકામ કરવામાં આવશે. નવલખી બંદરની પ્રવર્તમાન કેપેસિટી 8 MMTPA છે તે વધારીને 20 MMTPA કરવાના હેતુસર આ નવી જેટીનું બાંધકામ થવાનું છે. આના પરિણામે બંદરની હાલની કાર્ગો હેન્ડલિંગ કેપેસિટીમાં વાર્ષિક 12 MMTPA વધારો કરવાનું આયોજન છે. રાજ્યનું નવલખી બંદર 1939થી કાર્યરત છે. આ બંદરની વ્યૂહાત્મક્તાને પરિણામે આ બંદરે થી ગુજરાત, ઉત્તર ભારત, મધ્ય ભારતના પાવર પ્લાન્ટ્સ માટે કોલસાનું વહન થાય છે. હાલ નવલખી બંદર પર કુલ 434 મીટર લંબાઈની જેટીઓ આવેલી છે. જેના પરથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ વાર્ષિક 11.85 MMT કાર્ગોની હેરફેર કરે છે. ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા સાગરમાલા પ્રોજેક્ટનો પણ આ નવલખી બંદરને લાભ મળશે. તે અંતર્ગત 100 મીટરની જેટી માલસામાનના આંતરરાજ્ય દરિયાઇ પરિવહન માટે વિકસાવવામાં આવશે. નવલખી બંદર બ્રોડગેજ રેલવે તેમજ રોડથી દેશના બધા સ્થળો સાથે સારી રીતે જોડાયેલું છે તથા મોરબીમાં આવેલા ઉદ્યોગોને પણ જરૂરી ઇંધણ (કોલસો) પૂરો પાડે છે. આ બંદર પરથી 1939થી મીઠું, કોલસો, ખાદ્ય પદાર્થો તેમજ અન્ય બીજા માલસામાનનું વહન થાય છે.
તેમાં થઈ રહેલા ઉત્તરોત્તર વધારાને જોતા આ નવી જેટીનો મહત્તમ ફાયદો થશે. ગુજરાત મેરીટાઇમ બોર્ડનું આ નવલખી બંદર લાઇટરેજ પોર્ટ છે તેમ છતાં તેના વ્યૂહાત્મક સ્થળને કારણે કંડલા તેમજ મુન્દ્રા બંદરને હરીફાઇ પૂરી પાડે છે. નાના વેપારીઓ, ટ્રેડર્સને માલસામાનની આયાત નિકાસ કરવા માટેની સહુલિયત સાથેનું પ્રથમ પસંદગીનું બંદર છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના 1600 કિ.મી. સમુદ્રકિનારાને અને સાગરકાંઠે આવેલા નાના-મોટા બંદરોને આધુનિક ઢબે વિકસાવી ગુજરાતને સામુદ્રિક વેપારનું પ્રવેશદ્વાર બનાવવાની નેમ સાથે બંદરો-જેટીના નવિનીકરણને પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાત ના બંદરો ની આંતર માળખાકીય સુવિધાઓ ની શ્રેષ્ઠતા ને પરિણામે ગુજરાત ના બંદરો પરથી ૨૧૭ જેટલા દેશોમાં નિકાસ થાય છે. તાજેતરમાં જ ભાવનગર બંદરને દેશનું પ્રથમ CNG ટર્મિનલ બનાવવા મંજૂરી તેમણે આપી છે. હવે ,નવલખી બંદરના વિકાસના અભિગમથી નવી જેટી બાંધકામ માટેની મુખ્યમંત્રીશ્રીએ આપેલી મંજૂરીને પગલે ગુજરાત મેરીટાઇમ બોર્ડ આગળની કાર્યવાહી હાથ ધરશે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા પર્યાવરણીય મંજૂરીઓ માટેના અભ્યાસો હાથ ધરીને ભારત સરકારની મંજૂરી માટેની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. સાથોસાથ આ કામ સમયસર પૂર્ણ કરવા માટે ભાવપત્રકો મંગાવવાની કાર્યવાહી પણ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા પર્યાવરણીય મંજૂરીઓ મળ્યા બાદ નવલખી બંદરના નવિનીકરણનું આ કામ ત્વરિત હાથ ધરવામાં આવશે અને તેને બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, નવલખી બંદરના વિકાસને ધ્યાને લેતાં ભારતીય રેલ્વે દ્વારા પણ નવલખી બંદર માટે નવી રેલ્વે લાઇન નાંખીને હાલની ૬ રેક/પ્રતિદિનની ક્ષમતા વધારીને રોજની ૯ રેક કરવાની ભલામણ કરવામાં આવેલી છે. બંદર સુધી ભવિષ્યમાં ફોર ટ્રેક રોડ દ્વારા નેશનલ હાઇ-વે સાથે તેને જોડીને વધુ 5 MMTPA કાર્ગો હેન્ડલીંગના વધારાનું આયોજન પણ છે. એટલું જ નહિ, આ બંદરના પ્રોજેકટને ભાવિ વિકાસ માટે કેન્દ્ર સરકારની સાગરમાલા યોજના અન્વયે ભારત સરકારની રૂ. ૪૦ કરોડની સહાય પણ મળવાની છે. ૧૮-૧૯માં કુલ 11.85 MMT કાર્ગો હેન્ડલીંગ દ્વારા આ બંદર ઉપરથી રૂ. ૭૭.૦પ કરોડની આવક રળવામાં આવી હતી. નવલખી બંદર પર આ નવી જેટીનું નિર્માણ થવાથી રાજ્યને અંદાજે રૂ. 50 કરોડની વધારાની આવક આયાત-નિકાસ વૃદ્ધિથી મળતી થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x