ગાંધીનગરગુજરાત

ગાંધીનગરના નાગરિકોને ર૪ કલાક પીવાનું શુદ્ધ પાણી નળ દ્વારા મળતું થશે, દેશનું પ્રથમ શહેર બનશે ગુજરાતનું પાટનગર ગાંધીનગર

ગાંધીનગર :
ગુજરાત માટે ગૌરવશાળી એવા આ પ્રોજેક્ટનું ઇ ખાતમુહૂર્ત માટે ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ યોજનામાં ગાંધીનગરના નાગરિકોની પ્રતિદિન પાણીની જરૂરિયાત 150 લીટર ગણવામાં આવી છે જે પર્યાપ્ત છે. જેમ જેમ વસ્તી વધતી જશે તેમ તેમ પાણીની જરૂરિયાતને પહોંચી વળવાનું પૂરતું આયોજન આ યોજનામાં કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ગાંધીનગરનો વિકાસ એ આપણું સામૂહિક સ્વપ્ન છે. ગાંધીનગરને આદર્શ મતક્ષેત્ર બનાવવાના સઘળા પ્રયત્નો કરવાની તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે કોરોનાની મહામારી વચ્ચે પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિકાસના કામોને વેગવંત રાખ્યા છે. તેમણે આ માટે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને પંચામૃત પર્વ તરીકે ઉજવીને પાંચ વિકાસકામોની ભેટ ધરવા બદલ શ્રી અમિતભાઈ શાહે ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સર્વસ્પર્શી વિકાસનો મંત્ર આપીને સમગ્ર દેશને નવો માર્ગ પ્રશસ્ત કર્યો હતો.
આજે પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશના ૬૦ કરોડથી વધારે ગરીબોને સારું જીવન આપવાનો પ્રયત્નો થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દુનિયામાં ભારતનું ગૌરવ વધ્યું છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સાડા છ કરોડ ગુજરાતીઓ વતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપતાં તેમના નેતૃત્વમાં ભારતમાતા જગત જનની અને વિશ્વ ગુરુ બને એવી મંગલ કામના કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડી એ સ્વરાજ્યની સ્થાપના માટે કામ કર્યું હતું, એવી જ રીતે ગુજરાતના બે સપૂતો શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતભાઇ શાહની જોડી સુરાજ્યની સ્થાપના માટે કાર્યરત છે. તેમના નેતૃત્વમાં સરકાર સુશાસન અને ગુડ ગવર્નન્સનું રોલ મોડલ વિશ્વને આપવા પ્રતિબદ્ધ છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આજથી પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાં એક સમય એવો હતો કે, આપણા ગુજરાતમાં પાણીની કારમી તંગી હતી પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાત વોટર ડેફિસિટ માંથી વૉટર સરપ્લસ સ્ટેટ બની ગયું છે. નીતિ આયોગે પણ બેસ્ટ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાતને પ્રથમ ક્રમ આપ્યો છે. પીવાનું પાણી, ખેતીવાડી માટે સિંચાઈનું પાણી કે અન્ય વપરાશ માટેના પાણીના વિવેકપૂર્ણ કરકસરયુક્ત ઉપયોગ અને આદર્શ જળ વ્યવસ્થાપનના પરિણામે ગુજરાત જળ સંચયમાં આદર્શ સાબિત થયું છે.
તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૪ સુધીમાં સમગ્ર દેશમાં દરેક પરિવારને નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી આપવા નલ સે જલનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે પરંતુ ગુજરાતે આગોતરું આયોજન કર્યું છે અને તેના પરિણામે બે વર્ષ વહેલાં એટલે કે વર્ષ ૨૦૨૨ સુધીમાં જ આ લક્ષ્યાંક પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, આ યોજના સ્માર્ટ સિટીની દિશામાં એક મહત્વનું કદમ છે. દેશભરમાં કેટલાક શહેરી વિસ્તારોમાં અમુક ભાગોમાં ૨૪×૭ પીવાના પાણીની યોજનાનો અમલ થયો છે, પરંતુ આખા શહેર માટેની આવી યોજનાનો અમલ દેશમાં પ્રથમ વખત થઈ રહ્યો છે.
ગાંધીનગર મહાનગર સમગ્ર દેશમાં પીવાના પાણીનો ચોવીસે કલાક સપ્લાય આપનારું પહેલું અને એકમાત્ર શહેર બનવાનું છે. આ માટે તેમણે ગાંધીનગરના સૌ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું કે પાણીના કરકસર યુક્ત અને વિવેક પૂર્ણ ઉપયોગને પ્રેરિત કરવા ગાંધીનગર માં ઘરે ઘરે વોટર મીટર પણ લગાવવામાં આવશે. ગાંધીનગર શહેરને હાલ દૈનિક ૬.૫ કરોડ લીટર પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે હવે તેને વધારીને દૈનિક ૧૬ કરોડ લિટર પાણી પૂરું પાડી શકાય એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રી એ કહ્યું હતું કે, કોરોના હારશે અને ગુજરાત જીતશે એવા મંત્ર સાથે ગુજરાતે કોરોના સામે સીધો જંગ છેડયો છે. કોરોનાના આ સમયમાં રોદણાં રોઈને બેસી રહેવાને બદલે ગુજરાતે કોરોનાની સાથે જીવન જીવીને રોજિંદી પ્રવૃત્તિઓ અને વિકાસ કામોને વેગ આપવાનો સંકલ્પ કર્યો છે. ગુજરાતે કોરોનાના સંક્રમણના આ ચાર મહિનાના સમયગાળામાં સમગ્ર રાજ્યમાં રૂપિયા ૭,૬૫૫ કરોડના કામોના ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત કર્યા છે, અને રૂપિયા ૨,૨૮૦ કરોડના કામોના ઈ-લોકાર્પણ કરીને વિકાસની નવી કેડી કંડારી છે. આ રીતે કુલ રૂપિયા ૯,૯૩૫ કરોડના કામોની ઈ-ભેટ ગુજરાતને આપી છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાત માટે હવે જળ સંકટ કે સમસ્યા નહીં પણ શક્તિ બન્યું છે. જળ વ્યવસ્થાપનથી ગુજરાત પાણીદાર રાજ્ય બન્યું છે. આ માટે તેમણે સૌ ગુજરાતીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા.
વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ કાર્યક્રમ સાથે જોડાયેલા ગાંધીનગરના મહિલા મેયર શ્રીમતી રીટાબેન પટેલે સ્વાગત પ્રવચનમાં મહિલા મેયર તરીકે ગાંધીનગરની સર્વે મહિલાઓ તરફથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. ઓછા ફોર્સથી આવતું પાણી, દૂષિત પાણી જેવી સમસ્યાઓ હવે નહીં રહે અને ગાંધીનગરમાં દરેક ઘરમાં ૨૪×૭ પીવાનું પાણી મળી રહેશે એ માટે ગાંધીનગરની ગૃહિણીઓ વતીથી આનંદ વ્યક્ત કર્યો હતો.
આ ખાતમુહૂર્ત સમારોહમાં ગાંધીનગરના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ, ગાંધીનગરના મેયર શ્રીમતી રીટાબેન પટેલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડો. રતન ચારણ ગઢવીએ આભાર દર્શન કર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરમાં શ્રમજીવી પરિવારોને કિટ વિતરણ અંતર્ગત માસ્ક, સેનિટાઇઝર, રોગ પ્રતિરોધક ઉકાળા અને પૌષ્ટિક ફળફળાદિનું વિતરણ પણ કરાયું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x