ગાંધીનગર

માનવતાનું ઉત્તમ ઉદાહરણ: એક પરિવારે રક્તદાન કરી બ્લડ કેન્સરના દર્દીઓને નવજીવન આપવા કર્યું સહયોગી કાર્ય

સેવા અને સમર્પણના સંસ્કારોને ઉજાગર કરતા એક પ્રેરણાદાયી કિસ્સામાં કિશોરભાઈ પટેલ, તેમના પત્ની અને પુત્રએ રેડક્રોસ બ્લડબેન્ક ખાતે રક્તદાન કરી માનવતાની મહેક પ્રસરાવી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોએ સાથે મળીને કરેલા આ રક્તદાનનો મુખ્ય હેતુ બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડતા દર્દીઓને મદદરૂપ થવાનો અને તેમના જીવનમાં આશાનું કિરણ જગાડવાનો છે.

રક્તદાન એ વિશ્વનું સર્વશ્રેષ્ઠ દાન માનવામાં આવે છે કારણ કે રક્તનો કોઈ વિકલ્પ નથી. ખાસ કરીને બ્લડ કેન્સરના દર્દીઓ માટે સમયસર લોહી અને પ્લેટલેટ્સ મળી રહેવા અત્યંત અનિવાર્ય હોય છે. આવા સમયે પટેલ પરિવારે રક્તદાન કરીને સમાજ સામે એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે કે જો પરિવાર સાથે મળીને સેવાનું લક્ષ્ય રાખે તો અનેક લોકોના જીવ બચાવી શકાય છે.

રેડક્રોસ બ્લડબેન્ક દ્વારા રક્તદાન નું મહત્વ સમજાવતા જણાવવામાં આવ્યું હતું કે, સ્વૈચ્છિક રક્તદાન કરવાથી શરીરમાં નવા રક્તકણોનું સર્જન થાય છે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, સાથે જ તે અન્ય વ્યક્તિ માટે જીવનદાન સમાન સાબિત થાય છે. કિશોરભાઈ પટેલે આ તકે અન્ય નાગરિકો અને યુવાનોને પણ અપીલ કરી હતી કે, રક્તદાન અંગેની ખોટી માન્યતાઓ ત્યજીને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓની વ્હારે આવવા માટે નિયમિત રક્તદાન કરવું જોઈએ. રેડક્રોસ બ્લડબેન્ક દ્વારા પટેલ પરિવારની આ નિઃસ્વાર્થ સેવાને બિરદાવવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *