ગાંધીનગર

* અધિકારીઓની ખુલ્લી બેદરકારી છતાંય માહિતી આયોગ અસરકારક કાર્યવાહી કેમ નથી કરતું ? : હરેશ સિસારા

૧૪ મહિનાના વિલંબ અને નોંધાયેલી બેદરકારી છતાં દંડ નહીં: ગુજરાત માહિતી આયોગના નિર્ણયથી RTI કાયદાના અમલ પર ઊભા થયા સવાલો

માહિતી અધિકાર કાયદાનો અમલ કરાવવામાં માહિતી આયોગની ભૂમિકા પર સવાલ

ગાંધીનગર :
સુરત જિલ્લાના એક RTI પ્રકરણમાં ગુજરાત માહિતી આયોગનો તાજેતરનો નિર્ણય પારદર્શિતા અને જવાબદેહીના આગ્રહીઓ માટે ચર્ચાનો વિષય બન્યો છે. આયોગે આ કેસમાં જાહેર માહિતી અધિકારીની ગંભીર બેદરકારી અને ૧૪ મહિનાના લાંબા વિલંબની સ્પષ્ટ નોંધ લીધી હોવા છતાં, માહિતી અધિકાર અધિનિયમની કલમ-૨૦(૧) હેઠળ દંડ અને કલમ-૨૦(૨) હેઠળ તેઓનાં વિરૂધ્ધ શિસ્ત વિષયક પગલાં લેવાની ભલામણ કરવાની જોગવાઇઓ હોવા છતાં કોઈ જ દંડ કે શિક્ષાત્મક કાર્યવાહી કર્યા વિના માત્ર ‘તાકીદ’ આપીને અપીલનો નિકાલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત જીલ્લાનાં માસમા (તા.ઓલપાડ) ગ્રામ પંચાયતમાં અરજદાર હરેશ સિસારાએ માર્ચ ૨૦૨૫માં ગામતળ અને સીમતળના નકશાની નકલો મેળવવા RTI અરજી કરી હતી. કાયદાકીય સમયમર્યાદામાં માહિતી ન અપાતા અરજદારે પ્રથમ અને ત્યારબાદ આયોગ સમક્ષ બીજી અપીલ કરવી પડી હતી. છેવટે, આશરે ૧૪ મહિનાના અત્યંત લાંબા વિલંબ બાદ અરજદારને માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આશ્ચર્યની વાત તો એ છે કે, આયોગે સુનાવણી દરમિયાન ખુદ નોંધ્યું હતું કે જાહેર માહિતી અધિકારીએ RTI સમયમર્યાદાનું પાલન કર્યું નથી અને પ્રથમ અપીલ અધિકારીના આદેશની પણ અવગણના કરી છે. આયોગે આ વર્તનને “અત્યંત બેદરકારીભર્યું” ગણાવીને દંડ અને શિક્ષાત્મક કાર્યવાહી અંગે કારણદર્શક નોટિસ (Show-cause notice) પણ ફટકારી હતી અને જવાબદારીના મુદ્દાઓ પર સુનાવણીમાં ચર્ચા કરી હતી.
પરંતુ, આટલા ગંભીર તારણો અને નોટિસની પ્રક્રિયા બાદ, અંતિમ નિર્ણયમાં આયોગે અરજદારની દંડ અને શિક્ષાની માંગણી ફગાવી દઈને માત્ર અધિકારીઓને ભવિષ્યમાં ધ્યાન રાખવાની ‘સખ્ત તાકીદ’ કરી મામલો સમેટી લીધો છે. આ નિર્ણયથી RTI કાર્યકરોમાં અસંતોષ જોવા મળી શકે છે. જ્યારે આયોગ પોતે આટલા મોટા વિલંબ અને બેદરકારીને સ્વીકારે છે, ત્યારે માહીતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ માં રહેલી દંડની જોગવાઈઓનો ઉપયોગ કેમ ન થયો ? અધિકારીઓની બેદરકારી સામે માહિતી આયોગ અસરકારક કાર્યવાહી કેમ નથી કરતું ? આવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે.
આ પ્રકરણથી જવાબદારી નિર્ધારિત કરવાની આયોગની પ્રક્રિયા અને તેની અસરકારકતા અંગે પ્રશ્નો ઊભા થયા છે. જો જવાબદાર અધિકારીઓની ખુલ્લી બેદરકારી સામે આયોગ દાખલારૂપ કાર્યવાહી કરવાને બદલે માત્ર ચેતવણી આપીને સંતોષ માનશે તો માહિતીનો કાયદો કાગળ પર જ સીમિત રહી જશે, તો માહિતી અધિકાર કાયદા હેઠળ નાગરિકોને સમયસર ન્યાય અને માહિતી કેવી રીતે મળશે તે એક ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.
(હરેશ સિસારા)

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *