ગુજરાતરાષ્ટ્રીય

પ્રાકૃતિક કૃષિમાં યોગદાન બદલ પંજાબ-જલંધરની DAV યુનિવર્સિટી દ્વારા રાજ્યપાલ દેવવ્રતજીને Ph.D.ની ડિગ્રી અર્પણ કરાઈ

પંજાબના જલંધરની ડીએવી યુનિવર્સિટીએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ ડૉક્ટર ઑફ ફિલોસૉફી (Ph.D.) ની માનદ્ ડિગ્રી અર્પણ કરી છે. જલંધરમાં આજે ડીએવી યુનિવર્સિટીના કુલાધિપતિ પદ્મશ્રી ડૉ. પૂનમ સુરીએ પીએચ.ડી.ની માનદ્ ઉપાધિ એનાયત કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ સન્માન બદલ પ્રસન્નતા વ્યક્ત કરીને ડીએવી વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ અને વ્યવસ્થાપક મંડળ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી. પંજાબ રાજ્યના જલંધરમાં ડીએવી વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં પીએચ.ડી.ની માનદ્ ઉપાધિનો સ્વીકાર કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ડીએવી વિશ્વવિદ્યાલયે શિક્ષણ અને સંસ્કાર દ્વારા યુવાનોનું ઉત્તમ જીવન નિર્માણ કરીને માનવતાની મોટી સેવા કરી છે. અધ્યાપકો-શિક્ષકો, છાત્રો અને માતા-પિતાઓ જો પૂરી પ્રમાણિકતાથી પોતાની જવાબદારી નિભાવે તો યુવાનોમાં સૂર્ય જેવી તેજસ્વીતા, દૈદિપ્યતા, ઊર્જા અને તેજ પ્રસ્ફુરિત થાય. 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ અમૃતકાળમાં પાંચ પ્રણ આપ્યા છે, તેમાં ગુલામીની માનસિકતામાંથી હંમેશને માટે મુક્ત થવાની વાત છે. આપણું ભારત મહાન હતું, મહાન છે અને હંમેશા મહાન રહેશે. ભારત દેશ ગતિથી વિકાસ ભણી આગળ વધી રહ્યો છે. યુવા વૈજ્ઞાનિકોએ ચંદ્રયાનને ચાંદ પર પહોંચાડી દીધું અને હવે આપણે સૂર્ય તરફ આગળ વધી રહ્યા છીએ. આપણા દેશમાં આજે આપણે ફાઈટર પ્લેનનું નિર્માણ કરી રહ્યા છીએ. દર ૨૦ દિવસે એક નવી વંદે ભારત ટ્રેનદોડાવી રહ્યા છીએ. આગામી વર્ષોમાં આપણે વિશ્વમાં ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બનવા જઈ રહ્યા છીએ, ત્યારે દરેક યુવાન આ દેશની ગરિમા અને ગૌરવની વૃદ્ધિ માટે પોતાનું યોગદાન આપવા અગ્રેસર થાય એ આજના સમયની માંગ છે. આ અવસરે ડીએવી યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મનોજ કુમારે સ્વાગત ઉદ્બોધનમાં યુનિવર્સિટીની ઉપલબ્ધિઓની માહિતી આપી હતી. ડીએવીના ઉપાધ્યક્ષ નિવૃત્ત જસ્ટીસ પ્રીતમપાલ સિંહ, સેક્રેટરી અજય સુરી, ડીએવી યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજન ગુપ્તા, સલાહકાર શ્રીમતી જે. કાકરીયા અને પંજાબના શિક્ષણવિદો મોટી સંખ્યામાં આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *