કોંગ્રેસમાંથી આવેલા નેતાને કેન્દ્રીય કમિટીમાં સ્થાન મળતા સ્થાનિક કાર્યકરોમાં રોષ
વડોદરામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં આંતરિક અસંતોષ ભભૂકી રહ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ નેતા અભિષેક ઉપાધ્યાયને કેન્દ્રની બે મહત્વપૂર્ણ કમિટીમાં સ્થાન મળતા સ્થાનિક ભાજપના સંનિષ્ઠ કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. અભિષેક ઉપાધ્યાયની રેલવે મંત્રાલયની ZRUCC (ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી) ના સભ્ય તરીકે તેમજ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) ની કન્સલ્ટેટિવ કમિટીમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ નિર્ણયથી વર્ષોથી પક્ષ માટે કામ કરતાં કાર્યકરોની અવગણના થઈ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. ભાજપના વફાદાર અને જૂના કાર્યકરોમાં અંદરોઅંદર આ બાબતને લઈને નારાજગી પ્રવર્તી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં વડોદરા ભાજપમાં આ મુદ્દે મોટો ભડકો થાય તો નવાઈ નહીં. આ સ્થિતિ પક્ષની આંતરિક એકતા માટે પડકારરૂપ બની શકે છે.