અમદાવાદ: ચંડોળામાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી ફરી શરૂ
અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશનો બુધવારે (૨૮ મે) બીજા તબક્કાનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ જેસીબી અને હિટાચી મશીનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ કાર્યવાહીમાં ગરીબ નવાઝ મસ્જિદ, હનુમાનજી મંદિર અને દશામાના મંદિર સહિતના ચાર ગેરકાયદે ધાર્મિક બાંધકામો તોડી પાડવામાં આવશે.
ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ અધિકારીઓ સહિત સરકારી અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે તૈનાત કરાયો છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. હાલ, મંદિર અને મસ્જિદની અંદરનો સામાન બહાર કાઢવામાં આવી રહ્યો છે, ત્યારબાદ તોડવાની કાર્યવાહી હાથ ધરાશે. મળતી માહિતી મુજબ, આજે જ આ કાર્યવાહી પૂર્ણ કરીને કાટમાળ દૂર કરવામાં આવશે અને આજુબાજુમાં દીવાલ બનાવી દેવાશે જેથી ભવિષ્યમાં આવા દબાણો ન થાય. નોંધનીય છે કે, સ્થાનિક લોકો દ્વારા આ વખતે ધાર્મિક દબાણો દૂર કરવા સામે કોઈ વિરોધ જોવા મળ્યો નથી, કારણ કે પોલીસ અને તંત્રની સમજાવટ બાદ લોકો સંમત થયા છે.