કેન્દ્રીય કેબિનેટના પાંચ મોટા નિર્ણયો: MSP, ખેડૂતોને વ્યાજ સહાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળની આજે (૨૮ મે) મળેલી બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેની માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી હતી. ખેડૂતોના કલ્યાણને પ્રાથમિકતા આપતા, ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) હેઠળ ₹૨,૦૭,૦૦૦ કરોડ મંજૂર કરાયા છે. આ MSP ઉત્પાદન ખર્ચ પર ઓછામાં ઓછો ૫૦% નફો સુનિશ્ચિત કરશે.
ખેડૂતોને પોષણક્ષમ દરે લોન આપવા માટે વ્યાજ સહાય યોજનાને પણ મંજૂરી અપાઈ છે. આ યોજના હેઠળ ખેડૂતોને KCC દ્વારા ₹૩ લાખ સુધીની લોન ૭% વ્યાજે મળશે, જેમાં સમયસર ચુકવણી પર ૩% વધારાની છૂટ મળીને કુલ ૪% વ્યાજ ચૂકવવાનું રહેશે. આ માટે ₹૧૫,૬૪૨ કરોડનો ખર્ચ કરાશે.
આ ઉપરાંત, ત્રણ મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સને પણ લીલી ઝંડી મળી છે: આંધ્રપ્રદેશમાં ૪-લેન બડવેલ-નેલ્લોર હાઇવે (₹૩,૬૫૩ કરોડ), મહારાષ્ટ્રમાં ૧૩૫ કિલોમીટર લાંબી વર્ધા-બલ્લારશાહ રેલ્વે લાઇનનું વિસ્તરણ, અને મધ્યપ્રદેશમાં ૪૧ કિલોમીટર લાંબી રતલામ-નાગડા રેલ્વે લાઇન પહોળી કરવાની યોજનાનો સમાવેશ થાય છે. આ નિર્ણયો દેશના આર્થિક વિકાસ અને કૃષિ ક્ષેત્રને વેગ આપશે.