રાજયમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાશે
તા.૨૬ થી તા.૨૮ જૂન, ૨૦૨૫ (ગુરુવાર થી શનિવાર) દરમિયાન જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક, અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ રેસિડેન્સિયલ શાળા સહિતની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ યોજાશે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં ગાંધીનગર નિવાસી અધિક કલેકટરશ્રી એન.આર શર્મા સહિત ગાંધીનગર જિલ્લા અને રાજયભરના અધિકારીશ્રીઓ ઓનલાઇન જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ગુજરાત માટે શિક્ષણનું મહત્વ અને શિક્ષણ ક્ષેત્રે લાવવાના સકારાત્મક પરિવર્તન સહિતની બાબતોને આવરી લઇ પ્રેરક ઉદ્દબોધન કર્યુ હતુ. શિક્ષણ મંત્રીશ્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓએ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાકીય સહાય અને શિક્ષણ વિભાગની નેમ અને લક્ષ્યાંક અને ભાવિ આયોજનનો ચિત્તાર રજૂ કર્યો હતો.
આ બેઠક અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પિયુષભાઈ પટેલે ગાંધીનગર જિલ્લાના શાળા પ્રવેશોત્સવના આયોજનની વિગત જણાવી હતી. જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી , નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા મુખ્ય , નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સહિત વિવિધ કચેરીના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને તાલુકા કક્ષાએથી અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઓનલાઇન જોડાયા હતા.